વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું ‘મહા’ વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં બદલાય ગયું છે. જે હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. વધુમાં જણાવ્યુ છે કે, પહેલાં અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ ગયેલા ‘ક્યાર’ વાવાઝોડાના રસ્તે જ ‘મહા’ આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
‘મહા’ વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુઓ પાસેથી ઉત્પન્ન થયું હતું. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ક્યારના કારણે ગુજરાતમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મહા વાવાઝોડું પણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે વરસાદ લાવશે.
ક્યાર વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. હવે મહાને કારણે ફરી ગુજરાત પર વરસાદનો ખતરો છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકારના જણાવ્યા અનુસાર 6 નવેમ્બરથી 7માં આ વાવાઝોડું ગુજરાત તરફ નજીક આવી શકે છે. તેમજ મહા વાવાઝોડું વેરાવળ પાસે દક્ષિણ-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આવશે. જેથી ગુજરાતના દરિયાકિનારે પવનની ઝડપ વધી જશે.
મહા વાવાઝોડાના કારણે ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે કારણ કે હાલ ચોમાસાના પાકની સિઝન ચાલી રહી છે. જેમાં મગફળી, કપાસ, કઠોળ, ડાંગર જેવા પાકોને વરસાદને કારણે ભારે નુકસાન થશે.